પ્રાણાદપિ પ્રત્યયો રક્ષિતવ્યઃ ।
“પ્રાણના ભોગે પણ વિશ્વાસનું રક્ષણ કરવું જોઈએ”
ગુજરાતના લોકો વેપાર કરે છે. તે વેપારમાં તો વિશ્વાસ ખૂબ જ મહત્ત્વનો છે એટલે શાણા ગુજરાતીઓમાં “વિશ્વાસે વહાણ ચાલે” એવી એક કહેવત ચાલે છે.
બીજા લોકો આપણું વર્તન જોઈને આપણા માટે ચોક્કસ અભિપ્રાય કે મત બાંધે છે. અમુક બાબતમાં આપણે આમ જ કરીશું એવો વિશ્વાસ બીજા લોકોને હોય છે. આ વિશ્વાસ આપણે ગમે તે ભોગે ટકાવી રાખવો જોઈએ. એ વિશ્વાસ ટકાવી ન રાખીએ તો લોકોમાં આપણા માટે અવિશ્વાસ પેદા થાય છે. એટલું જ નહીં, આપણો ભરોસો કોઈ રાખતું નથી.
ગુજરાતના લોકો વેપાર કરે છે. તે વેપારમાં તો વિશ્વાસ ખૂબ જ મહત્ત્વનો છે એટલે શાણા ગુજરાતીઓમાં “વિશ્વાસે વહાણ ચાલે” એવી એક કહેવત ચાલે છે. દેશ-વિદેશમાં વેપાર કરનારા ગુજરાતીઓ પૈસાની લેવડદેવડમાં ભરોસાપાત્ર જ રહે છે. જો તેઓ ભરોસાપાત્ર અથવા વિશ્વાસપાત્ર ના રહે તો તેમનો વેપાર પડી ભાંગે. વળી ગેરકાયદેસર ધંધા કરનારા હલકા લોકો તો જો પ્રામાણિક કે વિશ્વાસુ રીતે કામ ના કરે તો ખૂનખરાબા પર આવી જાય.
પ્રત્યય શબ્દનો એક અર્થ નામના કે કીર્તિ એવો છે. માણસની ચોક્કસ પ્રકારના માણસ તરીકે નામના થઈ હોય તો એ નામના પર આધારિત રાખીને માણસો તે માણસને એ કામ સોંપે છે. એટલે કોઈ પણ ભોગે એ કામ તે માણસે પૂરું કરવું ઘટે.
પતિ પત્નીના સંબંધોમાં તો વિશ્વાસ જ મહત્ત્વનું પરિબળ છે. પરસ્પર વિશ્વાસથી જ તેમનું દાંપત્ય ટકે છે. જો તેમાં શંકા કે અવિશ્વાસ થાય તો તેમનું જીવન ધૂળધાણી થઈ જાય. કોઈપણ સંબંધમાં વિશ્વાસ જ મહત્ત્વનું તત્ત્વ છે. એ વિશ્વાસ પ્રાણનો ભોગ આપવો પડે તો આપીને ટકાવી રાખવાનો ઉપદેશ પ્રસ્તુત સૂત્રમાં વ્યક્ત થયો છે.