કેરળમાં પરિવર્તનનો પવન: 'ઓપરેશન સિંદૂર'ના વિરોધીઓનો સફાયો, પાર્થસારથી મંદિરમાં ભગવો લહેરાયો

આર્થિક રીતે સદ્ધર અને ૫૦ લાખની બચત ધરાવતું આ મંદિર આજે ૨૦ લાખના દેવામાં ડૂબી ગયું છે.

    ૩૦-જાન્યુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 
Kerala Temple: RSS Clean Sweep
 
 
# સેનાના અપમાનનો જનતાએ લીધો બદલો: કેરળના મંદિરમાં સંઘ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.
# હિન્દુ આસ્થા સાથે ખીલવાડ કરનારાઓનો સફાયો: પાર્થસારથી મંદિરમાં વામપંથી-કોંગ્રેસની કારમી હાર.
# કેરળમાં ઓપરેશન સિંદૂરનો વિજય: કમ્યુનિસ્ટ ગઢમાં ભગવો લહેરાયો, ૨૭-૦ થી ઐતિહાસિક ક્લીન સ્વીપ!
 
કેરળની ધરતી પર વર્ષોથી જડાયેલા વામપંથી વિચારધારાના પાયા હવે હચમચી રહ્યા હોય તેમ લાગે છે. દક્ષિણ ભારતના આ શાંત રાજ્યમાં આસ્થા અને વિચારધારા વચ્ચેનો એવો સંઘર્ષ છેડાયો છે, જેની ગુંજ આજે આખા દેશમાં સંભળાઈ રહી છે. કોલ્લમ જિલ્લાના શાસ્તમકોટ્ટામાં આવેલા શ્રી પાર્થસારથી મંદિરના વહીવટી તંત્રમાં જે બદલાવ આવ્યો છે, તે માત્ર એક રાજકીય જીત નથી પણ સામાન્ય ભક્તોના હૃદયમાં રહેલો આક્રોશ છે. ગત ઓણમ ઉત્સવ દરમિયાન જે 'ઓપરેશન સિંદૂર' પૂકલમ (ફૂલોની રંગોળી) વિવાદનું કેન્દ્ર બની હતી, તે જ વિવાદ આજે વામપંથી અને કોંગ્રેસના સંયુક્ત ગઠબંધનના પતનનું કારણ બન્યો છે.
 
૨૭ સ્વયંસેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ  
 
જનતાએ સાબિત કરી દીધું છે કે પરંપરા અને વિશ્વાસ સાથે થતો ખીલવાડ હવે વધુ સમય સહન કરવામાં નહીં આવે."
આ આખીય ઘટનાના મૂળિયાં ગયા વર્ષના ઓણમ ઉત્સવમાં દટાયેલાં છે. એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ ભારતીય સેનાના અપ્રતિમ શૌર્યને વંદન કરવા માટે મંદિરના આંગણે 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર ફૂલોની એક અદભૂત રંગોળી (પૂકલમ) સજાવી હતી. સૈનિકો પ્રત્યેનો આ આદર અને શ્રદ્ધાનો સંગમ તત્કાલીન મંદિર સમિતિને ન ગમ્યો. તેમણે આ પવિત્ર ભાવનાને પણ 'રાજકારણ' ના ચશ્માં પહેરીને જોઈ. પરિણામ એ આવ્યું કે, આસ્થા અને દેશભક્તિના આ સુંદર મિલનનો વિરોધ કરી કમ્યુનિસ્ટ અને કોંગ્રેસ સમર્થિત સમિતિએ ૨૭ સ્વયંસેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. આ ઘટનાએ માત્ર મંદિર પૂરતી સીમિત ન રહેતા આખા કેરળમાં એક નવી ચર્ચા છેડી દીધી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રન અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી જેવા નેતાઓએ પણ મેદાનમાં આવીને આને આપણા સપૂતોનું અપમાન ગણાવ્યું અને અન્યાય સામે આંદોલન કર્યુ.
 

Kerala Temple: RSS Clean Sweep 
 
સંઘના તમામ ઉમેદવારોએ સરેરાશ ૪૦૦ મતોની જંગી બહુમતીથી જીત હાંસલ કરી 
 
સમયનું ચક્ર ફર્યું અને થોડા મહિનાઓ બાદ જ્યારે મંદિરની વહીવટી સમિતિ એટલે કે 'ક્ષેત્ર સભા'ની ચૂંટણીનો દિવસ આવ્યો, ત્યારે જનતાએ બેલેટ પેપરના માધ્યમથી પોતાનો અવાજ બુલંદ કર્યો. આ માત્ર એક ચૂંટણી નહોતી, પણ અન્યાય સામેનો જનમત હતો. સંઘ પરિવાર પ્રેરિત 'ભક્તજન સમિતિ'એ તમામ ૨૭ બેઠકો પર કેસરીયો લહેરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો. સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે સીપીએમ, સીપીઆઈ અને કોંગ્રેસ જેવા પરસ્પર વિરોધી પક્ષોએ સંઘને રોકવા માટે હાથ મિલાવી લીધા હતા, છતાં ભક્તોના જુવાળ સામે આ ગઠબંધન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. કુલ મતદાનના ૫૮% થી વધુ મતો મેળવીને સંઘના તમામ ઉમેદવારોએ સરેરાશ ૪૦૦ મતોની જંગી બહુમતીથી જીત હાંસલ કરી. આ પરિણામો એક સ્પષ્ટ સંકેત છે કે જે પરિવારો પેઢીઓથી કમ્યુનિસ્ટ વિચારધારા સાથે જોડાયેલા હતા, તેમણે પણ આ વખતે મંદિરની ગરિમા અને આસ્થાને બચાવવા માટે સંઘની વિચારધારા પર વિશ્વાસ મૂક્યો છે.
 
કેરળની જનતા હવે  હિન્દુ આસ્થા પરના પ્રહારોને  સહન કરવા તૈયાર નથી
 
નવનિર્મિત સમિતિના અધ્યક્ષ કે.આર.જી. પિલ્લઈએ અત્યંત વ્યથિત હૃદયે જણાવ્યું હતું કે, અગાઉની સમિતિએ માત્ર રાજકીય દ્વેષ જ નહોતો રાખ્યો, પરંતુ મંદિરની પવિત્ર મર્યાદાઓને પણ અભડાવી હતી. લોકોમાં એવો ભારે આક્રોશ છે કે વામપંથીઓના શાસનકાળમાં મંદિરના સદ્યાલયમાં બિયર અને બીફ જેવી અભક્ષ્ય વસ્તુઓ પીરસાઈ હતી, અને શ્રદ્ધાળુઓએ ભેટ આપેલા ઘરેણાં તેમજ મંદિરના લાકડાં વેચીને ભ્રષ્ટાચારના ખેલ ખેલાયા હતા. આર્થિક રીતે સદ્ધર અને ૫૦ લાખની બચત ધરાવતું આ મંદિર આજે ૨૦ લાખના દેવામાં ડૂબી ગયું છે. આ ચૂંટણીનું પરિણામ એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે કેરળની જનતા હવે વામપંથીઓનું દમન અને હિન્દુ આસ્થા પરના પ્રહારોને સહેજ પણ સહન કરવા તૈયાર નથી. 'ઓપરેશન સિંદૂર' પૂકલમનો વિરોધ કરવો એ વામપંથ માટે 'સેલ્ફ ગોલ' સાબિત થયો છે, જેણે કેરળની પવિત્ર ધરતી પર એક નવી વૈચારિક ક્રાંતિનો મજબૂત પાયો નાખ્યો છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...