ઈન્ડિયા સે ભારત – એક પ્રવાસ. શ્રી પ્રશાંત પોળ લિખિત આ પુસ્તકનું હમણા જ લોકાર્પણ થયું છે. આ પુસ્તકમાં સ્વતંત્ર ભારતનો ઇતિહાસ નથી. આ પુસ્તકમાં સ્વતંત્રતા પછી 'ઈન્ડિયા' માંથી 'ભારત'માં બદલાઈ રહેલા આ દેશની આ વાર્તા છે. પોતાની તાકાત, પોતાની ક્ષમતા, પોતાના 'સ્વ'ની અનુભૂતિ કરવાની આ યાત્રાને આ પુસ્તકમાં સમેટવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તકના લેખક પ્રશાંત પોળે આ આ આ પુસ્તકમાં જે લખ્યું છે તેના અંશ અહીં રજૂ થયા છે…
કેટલીક સદીઓ પહેલા સુધી, ભારત વિશ્વના સૌથી સંપન્ન દેશોમાં સામેલ હતું. લગભગ દસમી સદી સુધી તો આપણે વિશ્વના સૌથી ધનિક અને સૌથી સમૃદ્ધ દેશ હતા. 'ભારતીય જ્ઞાનનો ખજાનો' અને 'ખજાનાની શોધયાત્રા' (લેખક પ્રશાંત પોળ) માં તેનું વિગતવાર વર્ણન છે. અગિયારમી-બારમી સદીમાં આવેલા ઇસ્લામી આક્રમણખોરોએ આપણને મન ભરીને લૂંટ્યા. આપણા ધર્મ પર આક્રમણ કર્યું. જે કંઈ બાકી બચ્યું હતું તે યુરોપિયન આક્રમણખોરોએ, ખાસ કરીને અંગ્રેજોએ પૂરૂં કરી દીધું. ઇસ્લામી આક્રમણખોરો આવ્યા ત્યાં સુધી વિશ્વના જીડીપીનો ત્રીજો ભાગ (33%) આપણી પાસે હતો. પરંતુ જ્યારે અંગ્રેજો ગયા, ત્યારે તે માત્ર 2.4% રહી ગયો હતો.
1947માં આપણને સ્વતંત્રતા મળી. ભલે ત્રણ ટુકડાઓમાં વહેંચાઈને, ખંડિત સ્વરૂપે આ સ્વાતંત્ર્ય મળ્યું હોય, પણ જેટલું પણ મળ્યું હતું, તે આપણું હતું. આપણે આપણી મરજીથી, આપણા સિદ્ધાંતોથી, આપણી જ્ઞાન પરંપરાથી નવું ભારત ઊભું કરી શકતા હતા. ઇતિહાસમાં આપણે તે કરી બતાવ્યું હતું. આપણે એ જ રસ્તો, યુગને અનુરૂપ બનાવીને ફરીથી પસંદ કરી શકતા હતા. વાતાવરણ આપણી તરફેણમાં હતું. સેંકડો વર્ષો પછી સ્વતંત્રતા મળી હતી. સામાન્ય જનતા આપણા નેતૃત્વની દરેક વાત માનવા તૈયાર હતી. હિન્દુ-મુસ્લિમ પ્રશ્ન પણ નહોતો. કારણ કે, અહીંના મુસ્લિમો જાણતા હતા કે, ભલે તેમણે અલગ પાકિસ્તાનની માંગણી કરી હોય, ભલે પાકિસ્તાન તેમને મળ્યું પણ હોય, તો પણ જો તેઓ પાકિસ્તાન જઈ શક્યા નથી, તો તેમણે ભારતની દરેક વાત માનવી પડશે.
ટૂંકમાં, બધું જ આપણા દેશના પક્ષમાં હતું. પરંતુ નવું ભારત બનાવવાના પ્રયાસો જ ન થયા. આપણા બંધારણના આમુખ (Preamble)માં લખ્યું છે તેમ આપણે 'ઈન્ડિયા' જ રહ્યા..! દોઢસો વર્ષ આ દેશ પર રાજ કરનારી અંગ્રેજી રાજસત્તાના 'એક્સટેન્શન' (વિસ્તરણ) તરીકે..! તે દિવસોમાં જે પણ ભારતની વાત કરતું, તે પછાત કે રૂઢિચુસ્ત કહેવાતું. કમનસીબે 'ઈન્ડિયા'નો આ પ્રવાસ ઘણો લાંબો ચાલ્યો. લગભગ સાઠ-પાષઠ વર્ષ..! આ દરમિયાન આપણી સાથે સ્વતંત્ર થયેલા અથવા નવા નિર્મિત થયેલા રાષ્ટ્રો આપણાથી આગળ નીકળી ગયા. રાખમાંથી બેઠા થયેલા જાપાન અને જર્મની ક્યાંથી ક્યાં પહોંચી ગયા. દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલ જેવા દેશોએ પણ ઊંચી છલાંગ લગાવી. આપણે ત્યાંના ત્યાં જ ડગલાં ભરતા રહ્યા.
આવું કેમ થયું..? કારણ કે, આપણે પોતાને ભૂલી ગયા હતા. આપણે આપણા 'સ્વ'ના બોધને ભૂલી ગયા હતા. આપણામાં સાગર ઓળંગવાની શક્તિ છે, તેનું આપણને વિસ્મરણ થઈ ગયું હતું. આપણે આપણા 'સ્વ'ને ભૂલ્યા, કારણ કે આપણને આપણો સાચો ઇતિહાસ ભણાવવામાં જ ન આવ્યો. આપણા આક્રમણખોરોનું મહિમામંડન કરવામાં આવ્યું. અયોધ્યામાં સેના મોકલીને, આપણા સૌના આરાધ્ય શ્રીરામનું મંદિર ધ્વસ્ત કરનારા આક્રમણખોર બાબર વિશે આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લખ્યું છે:
"બાબર ઇતિહાસમાં એક ભાગ્યશાળી, રોમાંચ અને સાહસથી ભરપૂર યોદ્ધા તરીકે સામે આવે છે, જેને પ્રકૃતિ અને સુંદરતા પ્રત્યે પ્રેમ છે. તેના (બાબર)માં કોમળતા અને સંવેદનશીલતા પણ છે, તથા સૌંદર્ય અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો પ્રશંસાત્મક લગાવ પણ છે. આ બધું તેને વ્યાપક રુચિઓ ધરાવતો મનુષ્ય સાબિત કરે છે." (ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા / ધ કમિંગ ઓફ ધ મુઘલ્સ / પેજ 299-300)
મજાની વાત એ છે કે, નહેરુ જે બાબરના વખાણ કરી રહ્યા છે, તેણે હિન્દુસ્તાન અને હિન્દુઓ વિશે શું લખ્યું છે..
"હિન્દુસ્તાન એક એવો દેશ છે જ્યાં બહુ ઓછું આકર્ષણ છે. અહીંના લોકો દેખાવડા નથી, તેમની પાસે શિષ્ટાચાર નથી, અહીં સારા ઘોડા નથી, ખાવા-પીવાની સારી વસ્તુઓ પણ નથી. હિન્દુસ્તાનના લોકો સંપૂર્ણપણે કાફિર છે. તેઓ મૂર્તિઓની પૂજા કરે છે અને તેમને 'સાચા ધર્મ' (ઇસ્લામ) પર શ્રદ્ધા નથી. સર્વશક્તિમાન અલ્લાહની કૃપાથી આપણે હિન્દુસ્તાન ફતેહ કર્યું છે, જેથી આ 'કાફિરોની ભૂમિ'માં ઇસ્લામ પ્રતિષ્ઠિત થાય. મને ગર્વ છે કે હું આજે ગાઝી બન્યો છું. આપણે સાચા ધર્મનો પ્રસાર કરવો જોઈએ અને હિન્દુસ્તાનમાં ઇસ્લામના કાયદા લાગુ કરવા જોઈએ. (બાબરનામા - એનેટ બેવરિજ દ્વારા અંગ્રેજી અનુવાદ / વોલ્યુમ 1 / એડિશન 1922 / પેજ 360 - 363)
આપણું, તમારું અને આ દેશનું કમનસીબ હતું કે નહેરુજીની 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' લગભગ આખા દેશમાં વિવિધ વર્ગોમાં પાઠ્યપુસ્તક તરીકે ચાલતી હતી. એંસીના દાયકાના અંતમાં (1988-1989), આ પુસ્તક પર 'ભારત એક ખોજ' નામની 53 એપિસોડની શ્રેણી દૂરદર્શન પર બતાવવામાં આવી, જેનું પાછળથી અનેકવાર પુનઃપ્રસારણ કરવામાં આવ્યું.
આ બધું વિગતવાર લખ્યું છે તે એટલા માટે કે, આ દેશમાં પોતાના 'સ્વ'ના ભાવને યોજનાપૂર્વક દબાવવામાં આવ્યો. આપણી પોતાની ભાષા, આપણો પોતાનો પહેરવેશ, આપણા પોતાના પૂર્વજો, આપણા પોતાના રીત-રિવાજો/પરંપરા, આપણો પોતાનો ધર્મ.. આ બધા વિશે લઘુતાગ્રંથિ બની રહે તેવું જ વાતાવરણ રહ્યું. આપણા ઇતિહાસ પર ગર્વ કરવો તો બહુ દૂરની વાત હતી!
ભારતે પોતાના 'સ્વ' બોધને જાણવામાં ઘણો વિલંબ કરી દીધો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનો આ દિશામાં વર્ષોથી કાર્યરત હતા. તેમને સફળતા પણ મળી રહી હતી. 'હિન્દુત્વ' એ પ્રતિષ્ઠાનો શબ્દ બની ગયો હતો. સામાન્ય નાગરિકો કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોના 'અલ્પસંખ્યક તુષ્ટિકરણ'થી કંટાળી ગયા હતા.
આ બધાનું પરિણામ 2014ના પરિવર્તનમાં આવ્યું. 2014ની લોકસભા ચૂંટણીએ સામાજિક અને સાંસ્કૃતિક રીતે જાગૃત થયેલા સામાન્ય જનતાને રાજકીય શક્તિથી સજ્જ કરી. અને પછી 'ઈન્ડિયા', 'ભારત'માં બદલાવા લાગ્યું...આ પરિવર્તનની જ આ વાર્તા છે.
આ પુસ્તક સ્વતંત્ર ભારતનો ઇતિહાસ નથી. સ્વતંત્રતા પછી 'ઈન્ડિયા' માંથી 'ભારત'માં બદલાઈ રહેલા આ દેશની આ વાર્તા છે. પોતાની તાકાત, પોતાની ક્ષમતા, પોતાના 'સ્વ'ની અનુભૂતિ કરવાની આ યાત્રાને આ પુસ્તકમાં સમેટવાનો પ્રયાસ કર્યો છે.
આમાં એવી પણ કેટલીક વાર્તાઓ છે, જેને 'ઈન્ડિયા'એ ઇતિહાસના પાનાઓમાં દબાવી દીધી હતી. એવી વાર્તાઓ જેની આપણને જાણકારી હોવી જોઈતી હતી, પરંતુ તે આજ સુધી આપણી સામે આવી શકી નહોતી.
આ પુસ્તકની પ્રસ્તાવનાના રૂપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીના આશીર્વચન મળ્યા છે. સરસંઘચાલકજીએ હંમેશા આગ્રહપૂર્વક 'સ્વ'ના બોધ વિશે પ્રતિપાદન કર્યું છે. 'પોતાની સહી (હસ્તાક્ષર) થી લઈને સ્વભાષા, સ્વભૂષા - આ બધા પર આપણને ગર્વ હોવો જોઈએ', તે તમારા આગ્રહના વિષયો રહે છે.
સારી વાત એ છે કે, 'ઈન્ડિયા'ને 'ભારત'માં બદલાવવાની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ. દેશ ચોક્કસપણે 'ભારત' બનવા તરફ આગળ વધી રહ્યો છે. તેના સુખદ પરિણામો પણ મળી રહ્યા છે. આવા વાતાવરણમાં આ પુસ્તક તમારા હૃદયમાં સ્થાન મેળવશે તેવી આશા છે.
- પ્રશાંત પોળ (પુસ્તક 'ઈન્ડિયા સે ભારત : એક પ્રવાસ' ના અંશ)