રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક સંપન્ન । રાષ્ટ્ર, સમાજ અને ભવિષ્યના પડકારો પર ત્રણ દિવસ સુધી વ્યાપક ચિંતન-મંથન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રેરિત વિવિધ સંગઠનોની ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક આજે વિશાખાપટ્ટનમ નજીક વિજ્ઞાન વિહાર આવાસીય વિદ્યાલય પરિસર, ગુડીલોવામાં સંપન્ન થઈ.

    ૨૧-ઓગસ્ટ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

rss Akhil bharatiya samanvay baithak
 
 
વિશાખાપટ્ટનમ, 21 ઓગસ્ટ 2026.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રેરિત વિવિધ સંગઠનોની ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક આજે વિશાખાપટ્ટનમ નજીક વિજ્ઞાન વિહાર આવાસીય વિદ્યાલય પરિસર, ગુડીલોવામાં સંપન્ન થઈ.
 
સમાજ અને રાષ્ટ્ર માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સંઘ પ્રેરિત સંગઠનોના પ્રમુખ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો. બેઠક માટે કુલ 326 પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ સંગઠનોનું મહિલા નેતૃત્વ પણ સામેલ રહ્યું. 49 મહિલા પ્રતિનિધિઓએ ત્રણ દિવસીય બેઠકમાં સહભાગિતા કરી.
 
બેઠકમાં પરમ પૂજનીય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત તથા માનનીય સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાળેજીની વિશેષ ઉપસ્થિતિ રહી. આ સાથે જ સંઘ પ્રેરિત વિવિધ સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના પ્રમુખ કાર્યકર્તાઓ તેમજ નેતૃત્વએ બેઠકમાં ભાગ લીધો. ત્રણ દિવસ દરમિયાન દેશ અને સમાજની વર્તમાન પરિસ્થિતિઓ, વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો, તેમના અનુભવો, ભવિષ્યના પડકારો તથા આગામી કાર્યયોજના પર વિગતવાર વિચાર-વિમર્શ થયો.
 
બેઠકના સંદર્ભમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ સી.આર. મુકુંદજીએ જણાવ્યું કે કુદરતી આપત્તિઓના સમયે સમાજ આધારિત સેવા અને પુનર્વસન કાર્યોની સમીક્ષા કરવામાં આવી. અસમમાં આવેલા ભીષણ પૂર દરમિયાન રાષ્ટ્રીય સેવા ભારતી, ભારતીય કિસાન સંઘ, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન (NMO), આરોગ્ય ભારતી સહિત વિવિધ સંગઠનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા રાહત તેમજ પુનર્વસન કાર્યોની માહિતી રજૂ કરવામાં આવી.
 
સંત રવિદાસજીની 650મી જયંતીના સંદર્ભમાં તેમના સંદેશના આધારે સામાજિક સમરસતા તેમજ સામાજિક સૌહાર્દ માટે દેશભરમાં યોજાયેલા કાર્યક્રમો અને સમાજ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદની સમીક્ષા કરવામાં આવી. આ દિશામાં આગળ પણ કાર્યને સતત વધારવા પર વિચાર થયો.
 
તેમણે કહ્યું કે બેઠકમાં જનસાંખ્યિકીય પરિવર્તન તેમજ અસંતુલન પર પણ ગંભીર ચર્ચા થઈ. વિશ્વના અનેક દેશોમાં વૃદ્ધ થતી જનસંખ્યા તથા ઘટતા પ્રજનન દરથી ઊભા થયેલા પડકારોના સંદર્ભમાં ભારતની પરિસ્થિતિઓ પર વિચાર કરવામાં આવ્યો. વિવિધ ક્ષેત્રો અને સમુદાયોમાં જનસંખ્યાના પ્રમાણમાં થઈ રહેલા ફેરફારો તથા તેની સામાજિક અસરો પર ચર્ચા કરતા સમાજમાં સંતુલન અને સૌહાર્દ જાળવી રાખવાના ઉપાયો પર વિચાર થયો.
 
નશામુક્ત સમાજ માટે વ્યાપક સામાજિક પ્રયાસ
 
દેશમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સુધી માદક પદાર્થોની વધતી પહોંચ પર બેઠકમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. આ સમસ્યાને માત્ર સરકાર કે પોલીસના સ્તર પર નહીં, પરંતુ સમગ્ર સમાજની સહભાગિતાથી ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો.
 
શિક્ષણ સંસ્થાનો, અભિભાવકો, સામાજિક સંગઠનો, વહીવટીતંત્ર, પોલીસ તથા અન્ય સંબંધિત પક્ષોને સાથે લઈને નશામુક્ત સમાજ માટે સમન્વિત પ્રયાસ કરવાની જરૂરિયાત પર ચર્ચા થઈ.
 
યુવાનોની આકાંક્ષાઓ અને ચિંતાઓ પર વિશેષ ચર્ચા
 
યુવા પેઢીની વિચારસરણી, આકાંક્ષાઓ, સર્જનાત્મક ક્ષમતા, ભવિષ્ય સંબંધી ચિંતાઓ તથા રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા પર વિસ્તૃત વિચાર થયો.
 
સંઘનું કાર્ય મોટી સંખ્યામાં યુવાનો વચ્ચે ચાલી રહ્યું છે. આ વર્ષે સંઘના 21 દિવસીય પ્રશિક્ષણ વર્ગોમાં લગભગ 21,000 યુવા સ્વયંસેવકોએ ભાગ લીધો. દેશભરની દૈનિક શાખાઓમાં ઉપસ્થિત સ્વયંસેવકોમાં 60 ટકાથી વધુ યુવાનો છે.
 
યુવાનો સાથે માત્ર ઉપદેશાત્મક સંવાદના બદલે તેમની સાથે સીધા જોડાણ, તેમની લાગણીઓ અને ચિંતાઓને સમજવા તથા સંવાદના માધ્યમથી દેશ, સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યો પ્રત્યે આત્મીયતા વિકસાવવી આવશ્યક ગણાવાઈ.
 
આત્મનિર્ભર, પર્યાવરણ હિતૈષી અને સમાવેશી વિકાસ
 
બેઠકમાં ભારતીય દૃષ્ટિ પર આધારિત વિકાસ મૉડલ પર પણ ચર્ચા થઈ. વિકાસ આત્મનિર્ભર, પર્યાવરણ હિતૈષી અને સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલનારો હોવો જોઈએ - આ દિશામાં આર્થિક ક્ષેત્રમાં કાર્યરત સંગઠનોના અનુભવો પર વિચાર થયો.
 
અનેક સંગઠનો દ્વારા વિવિધ પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમ કે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સૂક્ષ્મ ઉદ્યોગોના ક્ષેત્રમાં સંચાલિત કૌશલ્ય વિકાસ કેન્દ્રોના માધ્યમથી આ વર્ષે 41,000 થી વધુ લોકોને કૌશલ્ય તાલીમ આપવામાં આવ્યાની માહિતી પણ શેર કરવામાં આવી.
 
પંચ પરિવર્તન અને કુટુંબ પ્રબોધન
 
સંઘ શતાબ્દી વર્ષના સંદર્ભમાં સમાજ પરિવર્તન માટે નિર્ધારિત ‘પંચ પરિવર્તન’ના વિવિધ આયામો પર બેઠકમાં વિશેષ ચર્ચા થઈ. વિશેષ રૂપે કુટુંબ પ્રબોધન અંતર્ગત ભારતીય પરિવાર વ્યવસ્થા, પારિવારિક મૂલ્યો તથા પેઢીઓથી ચાલી આવતી સાંસ્કૃતિક પરંપરાઓને સુદૃઢ કરવાની જરૂરિયાત પર વિચાર થયો.
 
પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં માત્ર પ્રસ્તાવ પસાર કરવાના બદલે પ્રત્યેક વ્યક્તિ અને પરિવારના દૈનિક જીવનમાં પરિવર્તન લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ, પ્લાસ્ટિકનો ન્યૂનતમ ઉપયોગ અને હરિયાળું ક્ષેત્ર વધારવું જેવા વિષયો પ્રત્યેક પરિવારના વ્યવહારનો હિસ્સો બનવા જોઈએ.
 
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વિસ્તૃત ચર્ચા
 
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની સમાજ પર વધતી અસરને લઈને બેઠકમાં વિસ્તૃત પ્રસ્તુતિ અને ચર્ચા થઈ.
 
AI ની સકારાત્મક સંભાવનાઓ સાથે તેની સાથે જોડાયેલી સાવચેતીઓ અને પડકારો પર વિચાર કરતા તેને ભારતીય દૃષ્ટિકોણ અને ભારતીય સામાજિક સંદર્ભમાં જોવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. ટેકનોલોજીનો ઉપયોગ સમાજ હિતમાં કેવી રીતે થાય અને તેની સંભવિત આડઅસરો પ્રત્યે સમાજને કેવી રીતે જાગૃત કરવામાં આવે, આ વિષય પર આગળ પણ ચિંતન ચાલુ રહેશે.
 
કાર્ય વિસ્તાર
 
સંઘ પ્રેરિત 32 સંગઠનો દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા કાર્યોના વિસ્તાર પર પણ ચર્ચા થઈ. રાષ્ટ્રીય દૃષ્ટિ અને સમાજ કેન્દ્રિત ચિંતનને સમાજના વધુમાં વધુ ક્ષેત્રો સુધી પહોંચાડવા તથા સંગઠનાત્મક કાર્યનો વિસ્તાર કરવા માટે આગામી વર્ષની યોજનાઓ પર વિચાર કરવામાં આવ્યો.
 
સહ સરકાર્યવાહ મુકુંદજીએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપ્યા –
 
પ્રશ્ન: વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને વિવિધ સિસ્ટમની ખામીઓને લઈને બેઠકમાં શું ચર્ચા થઈ?
 
ઉત્તર: આ વિષયને માત્ર ભ્રષ્ટાચાર સુધી સીમિત રાખીને જોવામાં નથી આવ્યો. વ્યવસ્થામાં જ્યાં-જ્યાં ખામીઓ છે, તેને સુધારવા માટે સરકારની સાથે-સાથે સમાજની જાગૃતિ પણ આવશ્યક છે. NEET જેવા વિષયો હોય અથવા અન્ય વ્યવસ્થાગત સમસ્યાઓ, તેના કારણે યુવાનોમાં પોતાના ભવિષ્યને લઈને ચિંતા ઉત્પન્ન થાય છે. આ ચિંતાને સમજવી અને તેનું સમાધાન કરવું આવશ્યક છે. માત્ર વિરોધ કે વિક્ષેપથી સમાધાન નહીં થાય. સકારાત્મક અને રચનાત્મક દૃષ્ટિથી વ્યવસ્થામાં સુધારા માટે સરકાર અને સમાજ—બંનેએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ.
 
પ્રશ્ન: યુવા પેઢીમાં સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે જાગૃતિ વધારવા માટે સંઘ શું કરશે?
 
ઉત્તર: સંઘનું કાર્ય મુખ્ય રૂપે યુવાનો વચ્ચે વ્યાપક રીતે ચાલી રહ્યું છે. આ વર્ષે લગભગ 21,000 યુવા સ્વયંસેવકોએ 21 દિવસીય પ્રશિક્ષણ વર્ગોમાં ભાગ લીધો અને દૈનિક શાખાઓની ઉપસ્થિતિમાં 60 ટકાથી વધુ યુવાનો છે.
 
યુવાનોમાં સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોનું નિર્માણ માત્ર ભાષણો કે પોસ્ટરોથી ન થઈ શકે. તેમની સાથે સતત જોડાવું, તેમની લાગણીઓને સમજવી, સંવાદ કરવો તથા ભારતની મહાનતા અને સાંસ્કૃતિક વારસાને અનુભવના સ્તરે તેમની સમક્ષ મૂકવો આવશ્યક છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ સહિત અનેક સંગઠનોના માધ્યમથી યુવકો અને યુવતીઓ વચ્ચે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આજની યુવા પેઢીની ક્ષમતા અને સકારાત્મક પ્રતિસાદને જોતા અમને વિશ્વાસ છે કે ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં સુરક્ષિત છે.
 
આ સાથે જ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સંગઠનોને પણ યુવાનોમાં સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન માટે સાથેમળીને કાર્ય કરવાનું આહ્વાન કરવામાં આવ્યું.
 
પ્રશ્ન: સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીની પ્રસ્તાવિત અમેરિકા, કેનેડા અને બ્રિટન યાત્રાનો ઉદ્દેશ્ય શું છે?
 
ઉત્તર: આ યાત્રા સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વ્યાપક વૈશ્વિક સંપર્કનો હિસ્સો છે. તેના ત્રણ પ્રમુખ ઉદ્દેશ્યો છે.
 
પહેલો - ભારત, હિન્દુ સમાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંબંધમાં વિશ્વમાં વ્યાપ્ત ભ્રામકતા અને દુષ્પ્રચાર વચ્ચે તથ્યપૂર્ણ તેમજ સકારાત્મક દૃષ્ટિકોણ રજૂ કરવો.
 
બીજો - ભારતના ઋષિ-મુનિઓ દ્વારા આપવામાં આવેલા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ અને વૈશ્વિક એકાત્મતાના સંદેશને વિશ્વના વિવિધ સમાજો સુધી પહોંચાડવો.
 
ત્રીજો - વિશ્વના વિવિધ દેશોમાં રહેતા હિન્દુઓ અને ભારતીય મૂળના લોકોના હિતો તેમજ અધિકારોના વિષયમાં ત્યાંના મુખ્ય પ્રવાહના સમાજ સાથે સંવાદ વધારવો.
 
આ ક્રમમાં ડૉ. મોહન ભાગવતજી ન્યૂયોર્કમાં Universal Oneness કાર્યક્રમ તથા ટોરોન્ટો અને લંડનમાં સામુદાયિક નેતૃત્વના કાર્યક્રમોમાં સહભાગિતા કરશે.
 
પ્રશ્ન: પંચ પરિવર્તનમાં પર્યાવરણ સંરક્ષણને લઈને માત્ર પ્રસ્તાવ કે સંકલ્પથી આગળ વ્યવહારિક રૂપે શું કરી શકાય?
 
ઉત્તર: પંચ પરિવર્તનની કલ્પના લગભગ ત્રણ વર્ષ પહેલાં સંઘના શતાબ્દી વર્ષની યોજના બનાવતી વખતે કરવામાં આવી હતી. અમારું માનવું છે કે કોઈપણ વ્યવસ્થાગત પરિવર્તન પહેલાં સામાજિક પરિવર્તન આવશ્યક છે.
 
પર્યાવરણ સંરક્ષણ માત્ર પ્રકૃતિને બહારથી બચાવવાનો વિષય નથી. ભારતીય દૃષ્ટિમાં મનુષ્ય સ્વયં આ સંપૂર્ણ સૃષ્ટિ અને પર્યાવરણનું અભિન્ન અંગ છે.
 
તેથી પ્રત્યેક વ્યક્તિ અને પરિવાર પોતાના દૈનિક જીવનમાં ઓછામાં ઓછા ત્રણ સ્તરો પર યોગદાન આપી શકે છે - પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ, પ્લાસ્ટિકના ઉપયોગને ઓછો કરવો અને પોતાની આસપાસ હરિયાળી વધારવી.
 
માત્ર પ્રસ્તાવ પસાર કરવાથી પરિવર્તન નહીં આવે. જીવનશૈલીમાં પરિવર્તન આવશ્યક છે. આ જ સંદેશને પરિવારો, ગામડાઓ અને દેશના દૂર-સુદૂરના વિસ્તારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વ્યક્તિ અને પરિવારના વ્યવહારમાં આવેલું નાનું પરિવર્તન પણ વ્યાપક સામાજિક અને પર્યાવરણીય પરિવર્તનનો આધાર બની શકે છે.
 
આ પ્રેસ વાર્તામાં સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરજી, અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુરજી, પ્રદીપ જોશીજી, સહિત અન્ય ઉપસ્થિત રહ્યા.
 
હિંદી પ્રેસનોટનો આ ગુજરાતી અનુવાદ છે. હિંદીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો…

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...