અતિભારઃ પુરુષમવસાદયતિ । “ખૂબ ભાર માણસને થાક આપે છે.”
મનુષ્ય પોતાની શરીરની તાકાત મુજબ ભાર કે બોજો ઉપાડી શકે છે. એથી વધુ ભાર ઉપાડે તો અથવા અમુક સમયથી વધુ વખત ભાર ઉપાડે તો તેને થાકનો અનુભવ થાય છે. એ જ રીતે માણસનું મન પણ વધારે પડતો માનસિક બોજો ઉપાડે તો તે થાકી જાય છે. મન વધારે પડતી ચિતા કે શોક વગરે લાગણીઓનો ભાર ઉપાડે તો હેરાનપરેશાન થાય છે. એટલા માટે “ચિંતા ચિતા સમાન” એવી કહેવત ગુજરાતીઓમાં પ્રચલિત છે. ચિંતાથી મનુષ્યની ચતુરાઈ ઘટે છે.
મનુષ્યનું શરીર અને મન અમુક હદ સુધી શારીરિક કે માનસિક બોજો સરળતાથી ઉપાડી શકે છે, પરંતુ વધારે પડતો બીજો માણસને થાક જ આપે છે. થાકી ગયા પછી મનુષ્ય આરામ કરે તો એ થાક દૂર થઈ જતો હોવાથી આરામ થાક દૂર કરવાનો ઉપાય છે. આપણું હૃદય જન્મથી મરણ સુધી એટલે અનેક વર્ષો સુધી ધબક્યા કરે છે અને રક્તની શુદ્ધિ તથા આખા શરીરમાં લોહીનો પૂરવઠો ધકેલવાનું કાર્ય કરે છે. વૈજ્ઞાનિકોને મતે હૃદય જેટલો સમય કામ કરે છે તેનાથી વધારે સમય તે આરામ કરે છે. પરિણામે હૃદય અનેક વર્ષો સુધી ધબક્યા કરે છે.
મર્યાદિત ભાર કે બોજો શરીર અને મનને થાક આપતો નથી. અતિ સર્વત્ર વર્જયેત્ । અર્થાત્ બધે ઠેકાણે ખૂબ કે વધારે પડતી વાતથી દૂર રહેવું જોઈએ. એ મુજબ વધારે પડતો શારીરિક અને માનસિક ભાર કે બોજો મનુષ્યે ઉપાડવો નહીં એવો ઉપદેશ પ્રસ્તુત સૂત્રમાં લેખકે આપ્યો છે.