એક મોટા પૈસાદાર શેઠના ઘરની સામે એક મોચી રહેતો હતો. ખૂબ જ પ્રમાણિક અને મહેનતુ. સદગુણોનો ભંડાર. ઈર્ષ્યા, લોભ, કપટ, લાલચ જેવા દુર્ગુણોથી દૂર રહે, સદા પ્રભુની સેવા કરી અને જોડા સીવતાં સીવતાં ભજન ગાય. આ રીતે ખૂબ જ સદભાવનાપૂર્વક જીવન જીવતાં જીવતાં તે આનંદમાં દિવસ ગાળતો.
બાજુમાં રહેતો શેઠ તેનાથી વિપરીત સ્વભાવનો. ખૂબ જ લાલચુ અને હંમેશા દુ:ખી રહેનારો. દુકાન તથા લેવડદેવડના વિચારમાં ચિંતાતુર રહેતો. પેલા મોચીનાં વૈરાગ્યવાળાં ભજન સાંભળીને શેઠને શાંતિ વળતી.
એક દિવસ શેઠે મોચીને પૂછ્યું : ‘તું શું કમાય છે ?’
મોચીએ કહ્યું : ‘રોજના આઠ આના. જેટલું કમાઉં તે પ્રમાણે મારે ખર્ચ છે.’
શેઠે કહ્યું : ‘તારા ભજનથી મને બહુ આનંદ થાય છે, માટે હું તને પચાસ રૂપિયા આપું છું. મેં જો દવા કરાવી હોત તો, પણ એટલું ખર્ચ તો થાત અને આટલો આનંદ મળત નહીં.’
મોચીને રૂપિયા મળ્યા, એટલે તેને સાચવવાની ચિંતામાં તે પડ્યો. દિવસમાં બે-ત્રણ વખત પેલા રૂપિયા ગણી જુએ. રાતદિવસ તેનું ચિત્ત તેમાં જ રહે. રાત્રે તે ગણી ઓશીકે મૂકે. રાત્રે ઊંઘ પણ ન આવે, એટલે દિવસે જોડા સીવતાં ઝોકાં આવે, તે ભજન ગાવાનું પણ ભૂલી ગયો. તે પૂર્વજન્મનો સંસ્કારી હોવાથી સમજી ગયો કે, આ બધાંનું કારણ પચાસ રૂપિયા છે. તેથી શેઠને ત્યાં જઈ તે રૂપિયા આપી આવ્યો અને શેઠને કહ્યું : ‘તમે તે બીજે વાપરજો’ પછી મોચી પાછો પોતાને ધંધે વળગ્યો અને પહેલાંની માફક ભજન લલકારવા લાગ્યો. શેઠ પણ ફરીથી તેનાં વૈરાગી ભજન સાંભળવાથી ચિંતામુક્ત થયા.