એક મહાત્મા સત્સંગ માટે પોતાના શિષ્યો સાથે પ્રવાસ કરી રહ્યા હતાં. રસ્તામાં તેમની નજર પાતળા દોરડાથી એક પાતળા ખીલા સાથે બંધાયેલા મહાકાય હાથી પર પડી. આ જોઈ શિષ્યોએ આશ્ચર્યપૂર્વક મહાત્માને પૂછ્યું : `ભગવાન, આટલો વિશાળકાય એ બળશાળી હાથી ધારે તો એક ઝટકામાં દોરડુ તોડી ખીલો ઉખાડી બંધનમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ હાથી તો આ બંધનને તોડવાનો પ્રયત્ન સુધ્ધાં પણ નથી કરી રહ્યો, આવું કેમ ?'
મહાત્માજીએ કહ્યું, `આનો જવાબ તો તેને બાંધનાર મહાવત જ આપી શકે.'
એટલામાં ત્યાં મહાવત આવ્યો અને શિષ્યોએ પોતાની જિજ્ઞાસા સંતોષવાનું કહ્યું. આ સાંભળી મહાવતે કહ્યું. `આ હાથી જ્યારથી ચાલવાનું શીખ્યો ત્યારથી જ હું તેને આ દોરડાથી બાંધી રહ્યો છુ. તેણે દોરડુ તોડવા અને ખીલો ઉખાડવા ઘણા જ પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે નાનો અને અસક્ષમ હોવાથી સફળ થઈ શક્યો નહીં. ધીરે ધીરે તેણે માની લીધું કે દોરડુ અને ખીલો ખૂબ જ મજબૂત છે. જેને તે ક્યારેય તોડી શકવાનો નથી. મનમાં આ સંકુચિત વહેમને કારણે તેણે દોરડુ તોડવાના પ્રયાસો જ બંધ કરી દીધા.'
આ પછી મહાત્માજીએ હાથીનો સંદર્ભ આપતાં શિષ્યોને જે સમજાવ્યું ખૂબ ઉપયોગી બોધ સમાન છે...વાંચો
મહાત્માજીએ કહ્યું કે હાથીની જેમ આપણે પણ જીવનમાં કોઈ કામમાં એકાદ બે વખત નિષ્ફળ જતાં માન્યતા બાંધી લઈએ છીએ કે, હવે મારાથી આ કામ ક્યારેય થવાનું નથી અને સફળતા માટે પ્રયાસો કરવાનું પણ છોડી દઈએ છીએ. જ્યારે મનુષ્ય માટે કોઈપણ કામ અશક્ય નથી. માટે હાર ન માનો. પ્રયત્નો ચાલુ જ રાખો. સફળતા તો મળવાની જ છે.