બોધકથા । ચકલીની ચતુરાઈ અને શિખામણ
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
૧૧-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |
એક શિકારીના પંજામાં ચકલી આવી જતાં શિકારીએ તેને મારી નાખવાનો વિચાર કર્યો. ચકલીએ મનમાં વિચાર કર્યો કે હવે બચવાનો કોઈ ઉપાય નથી માટે, કાંઈક યુક્તિ કરવી જોઈએ. એમ ધારીને ચકલી હસવા લાગી. શિકારીએ હસવાનું કારણ ચકલીબાઈને પૂછ્યું, ત્યારે તે કહેવા લાગી કે મારા પેટમાં સોનાની ત્રણ મોટી ઈંટો છે તે હું ખોંખારો ખાઉં છું ત્યારે બહાર નીકળે છે. શિકારી લોભી હતો. તેથી તેને ચકલીનું બોલવું સત્ય લાગ્યું. તેથી કહેવા લાગ્યો કે તારી સોનાની ઈંટો તું મને કૃપા કરીને આપ ! ચકલી કહે ભાઈ ! મારી ક્યાં ના છે ? તું મને જરા છુટી કરે તો હું ખોંખારો ખાઈને મારા પેટમાંથી ઈંટ કાઢી આપું. શિકારીએ ચકલીને તુરત સોનાની લાલચે છૂટી મૂકી એટલે તરત ચકલી પાસેના ઝાડ પર જઈ કહેવા લાગી.
‘અરે મૂર્ખ ! તને આટલું પણ જ્ઞાન નથી કે હું પાશેરનું પ્રાણી છું તો મારા પેટમાં સોનાની ત્રણ ઈંટો કેમ સમાતી હશે ! મને ખાતરી થઈ છે કે લોભીયાજનોને જ્ઞાન હોતું નથી. એ તો હંમેશા પોતાનો સ્વાર્થ જ શોધે છે.' એટલું કહી ચકલી ઉડી ગઈ. ને શિકારીને કહેતી ગઈ કે તું એક મારી શિખામણ યાદ રાખજે હોં.
ચકીની આ શિખામણ દરેકે વાંચવા જેવી છે…
નાનો માણસ મોટી વાત કરે તે સાચી માનવી નહિ. શિકારી બિચારો સોનાની લાલચથી હાથ ઘસતો રહ્યો. આજે જગતમાં પણ આધુનિક સમયમાં કેટલાક યોગી પુરૂષો ઢોંગ ચલાવી લાખો રૂપિયાનો માલ ભોળાજનોનો લઈને ભાગી જાય છે પણ તેઓ એમ નથી સમજતા કે, એવી રીતે ધન પ્રાપ્ત થતું હોય તો તે શા માટે બીજાને સુવર્ણ બનાવી આપવા પુરૂષાર્થ કરે, પોતાના જ માટે જ સોનું પેદા કરી કેમ શ્રીમંત થતા નથી ? પણ એવું તો કાંઈ બનતું નથી, માટે હંમેશાં એવા ઠગ લોકોથી સાવધાન રહેવા માટે આ ચકલીબાઈની શિખામણ છે.