એક ડોસી દ્વારકાની યાત્રાએ જતી હતી. તેની પાસે રૂપિયા પાંચસોનું જોખમ હતું. રસ્તે ચાલતાં એક ઊંટવાળાનો સંગ થયો. તેને પેલી ડોસીએ કહ્યું કે, ‘આ મારૂં પોટલું તમે ઊંટ ઉપર રાખો તો હું બોજા વિના સુખેથી ચાલી આવું.' ઊંટવાળાએ ચોખ્ખી ના પાડી, પણ થોડે દૂર ગયા પછી ઊંટવાળાને વિચાર આવ્યો કે, ડોસી એકલી છે માટે તેના પોટલામાં ઘરેણાં વગેરે હશે તે લઈને ચાલ્યો જાઉં તો અહીં મને કોણ પૂછે છે, એવો વિચાર કરીને તે પાછો ફર્યો અને ડોસીમાની પાસે જઈ કહેવા લાગ્યો, ડોસીમા લાવો તમારૂં પોટલું હું ઊંટ ઉપર રાખીશ.'
ડોસી પણ મનમાં સમજી ગઈ હતી કે, ઊંટવાળાએ પ્રથમ ના પાડી તે બહુ જ સારૂં કર્યું. મે તેને મારૂં પોટલું આપ્યું હોત અને તે લઈને ભાગી જાત તો હું તેને ક્યાં શોધવા જવાની હતી ? માટે પ્રભુ જે કરે તે સારા માટે જ કરે છે.
પેલા ઊંટવાળાને ડોસીમાએ કહ્યું, ‘નહિ આપું ! મારૂં પોટલું એતો હું જ ઉંચકીશ. તમને ખોટી મહેનત શા માટે આપવી જોઈએ ?’
ઊંટવાળો તરત મનમાં સમજી ગયો કે ડોસીમા મારો દુષ્ટ વિચાર સમજી ગઈ છે. પછી તેણે ડોસીને કહ્યું કે, ‘ડોસીમા તમને કોણે ભરમાવ્યા ?’
ડોસીએ જે કહ્યું તે બધાએ સમજવા જેવું છે…વાંચો
ડોસીએ કહ્યું કે,
‘જેણે તને ભરમાવ્યો તેણે જ મને ભરમાવી છે.' તારા દિલમાં પાપ નહોતું એટલે મેં પોટલું તને આપવાની વાત કરી હતી. હવે તારા મનમાં પાપ પેઠું એટલે મારા મનમાં પણ પાપ સ્વાભાવિક રીતે આવ્યું.’ માટે હંમેશા જેવા આપણા મનમાં વિચારો આવે છે તેવા જ સામેવાળાના મનમાં પણ વિચારો આવે છે.