એક શહેરમાં જાણીતા સંત પ્રવચન કરવાના હોઈ સમગ્ર હોલ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. પ્રવચનનો વિષય હતો ‘માનવીનુ મૂલ્ય’.
સંતે પ્રવચનની શરૂઆતમાં ખિસ્સામાંથી 1,000ની નોટ કાઢી અને કહ્યું, હું આ નોટ તમારામાંથી કોઈ એકને આપવા માગું છું. કોને જોઈએ છે? બધા જ હાથ ઊંચા થઈ ગયા. સ્વામીજીએ એ નોટને મસળી દડા જેવી બનાવી દીધી અને કહ્યું હવે કોને જોઈએ છે? પહેલાં જેટલી જ સંખ્યામાં હાથ ઊંચા થયા. હવે સ્વામીજીએ એ નોટને પગની નીચે બરાબર કચડી નાખી, ત્યાર બાદ પૂછ્યું - હવે કેટલાને જોઈએ છે? આગળની સંખ્યા જેટલા પ્રમાણમાં જ હાથ ઊંચા થયા.
સંતે શ્રોતાઓને કહ્યું, ભક્તો, મેં આ 1000ની નોટ વાળી - પગની નીચે મસળી ગંદી-ગોબરી બનાવી દીધી છતાં તે તમારે તમામને જોઈએ છે, કારણ એના કોઈપણ સ્વરૂપમાં તેના મૂલ્યમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી.
બરોબર આવી જ રીતે આપણે આપણી જિંદગીમાં સાચા-ખોટા નિર્ણયો લઈએ છીએ. આપણા માર્ગમાં આવતા વિપરીત સંજોગો નીચે કચડાઈએ છીએ, નીચે પછડાઈએ છીએ ત્યારે હીણપતની લાગણી અનુભવીએ છીએ, પરંતુ આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે કોઈપણ સંજોગોમાં આપણે પેલી 1000ની નોટના મૂલ્યની માફક આપણું એક મનુષ્ય તરીકેનું મૂળભૂત મૂલ્ય ગુમાવતા નથી.
મનુષ્યમાં રહેલી શક્તિઓનું મૂલ્ય અમૂલ્ય છે. આ બધી શક્તિઓને કામે લગાડી આપણે આપણી જિંદગીનો રાહ સુપેરે કંડારી આગળ વધવું જોઈએ. સ્વામીજીના આટલા શબ્દો બાદ સમગ્ર હોલ ભક્તોના ૐ... ૐના નાદથી ગુંજી ઉઠ્યો.