એક વિશાળ ઝાડ હતું. આ ઝાડ પર એકે મોટો મધપૂડો હતો. બાજુમાં જ ચકલીનો માળો પણ હતો. એકવાર આ ઝાડ નીચે કેટલાંક માનવીઓ આવ્યા અને તેમણે આ વિશાળ ઝાડ પર મોટો મધપૂડો જોયો.
માનવીઓને આ મધપૂડો જોઇ લાલચ જાગી એટલે મધમાખીઓને ઉડાવી બધુ મધ ચોરી કરી દીધું અને ત્યાંથી જતા રહ્યાં. આ જોઇ ચકલીને ખૂબ દૂઃખ થયું. પણ તેને નવાઈ એ લાગી કે મધપૂડો તોડ્યાની બીજી જ સેકન્ડે મધમાખીઓ પાછી તેમના કામમાં લાગી ગઈ અને મધ ભેગુ કરવા લાગી...
આ જોઇ ચકલીએ એક મધમાખીને પૂછ્યું કે તમે ખૂબ મહેનત કરીને મધ બનાવો છો અને આ માનવીઓ તમને મારીને તમારું મધ ચોરી કરી જાય છે! તમને દુઃખ નથી થતું?
ચકલીની આ વાત સાંભળી મધમાખીએ સુંદર જવાબ આપ્યો...
મધમાખીએ કહ્યું કે માનવી મારું મધ ચોરી કરી શકે છે પણ મધ બનાવવાની મારી કલા ચોરી કરી શકતો નથી. બોધ એ છે કે, આ દુનિયામાં કોઇ પણ તમારો સામન, મિલકત, વસ્તું ચોરી કરી શકે છે, તમારાથી તે છીનવી શકે છે પણ તમારું હુન્નર કોઇ ચોરી કરી શકતું નથી. માટે હુન્નર પર ધ્યાન આપો, બાકી બધું ગૌણ છે...!!