૧૫ વર્ષનો એક કિશોર રેલવે સ્ટેશન પર પાણીની બોટલ વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ ટ્રેનમાં બેઠેલા એક મુસાફરએ તેને બોલાવી કહ્યું, ભાઈ, આ પાણીની બોટલનું શું રાખ્યું ?
કિશોરે જવાબ આપ્યો, ૧૦ રૂપિયા સાહેબ.
મુસાફરએ મોં બગાડતાં કહ્યું, આટલા બધા હોતા હશે, બોલ, સાત રૂપિયામાં આપવી છે?
કિશોર થોડુ હસ્યો અને પાણીની બોટલ પાછી લઈ ચાલતો થયો. આ આખો ઘટનાક્રમ ટ્રેનમાં જ બેઠેલા એક સંત જોઇ રહ્યા હતા. પેલો છોકરો હસ્યો કેમ હશે ? એ જાણવા સંત ટ્રેનમાંથી ઊતરી તેની પાસે પહોંચ્યા અને કહ્યું, બીજું બધું તો ઠીક, પરંતુ પેલા મુસાફરએ જ્યારે પાણીનો ભાવતાલ કરી રહ્યા હતા. ત્યારે તું હસ્યો કેમ એ ન સમજાયું.
કિશોરે કહ્યું કે, મહારાજ, હકીકતમાં માણસને તરસ લાગી જ ન હતી. એમને તો માત્ર બોટલની કિમત જ જાણવી હતી. આ સાંભળી સંતે આશ્ચર્યથી પૂછ્યું, એની તને કેવી રીતે ખબર પડી ?
કિશોરે જવાબ આપ્યો, કારણ કે જે માણસ ખરેખર તરસ્યો હોય તે બોટલ ખોલી તરત જ પાણી પી લે, ત્યાર બાદ તેની કિમત પૂછે. તેમણે પહેલાં કિમત પૂછી, મતલબ તેમને તરસ લાગી જ ન હતી. સંત કિશોરની વાતનું ગૂઢ રહસ્ય સમજી ગયા.
આ પ્રસંગનું પાથેય એ કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં કાંઈક ધ્યેય તો હોય જ છે. જે લોકો તર્ક-કુતર્ક કર્યા વગર પોતાના એ ધ્યેયને સિદ્ધ કરવામાં લાગી જાય છે તેમને સફળતા મળીને જ રહે છે, જ્યારે જે લોકો પરિસ્થિતિઓને દોષ દઈ વિચાર કરવામાં જ સમય બરબાદ કરી નાખે તેવા લોકો પોતાના ધ્યેય સુધી ક્યારેય પહોંચી શકતા નથી અને સફળતા મુસાફરના હાથમાં આવેલી પાણીની બોટલની જેમ સરકી જાય છે.